ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકો વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવતો હોઇ તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બની મોટાપ્રમાણમાં ખનિજ ઉલેચી રહ્યા છે. તાલુકામાં નર્મદા નદીના વિશાળ પટમાં તો લાંબા સમયથી આડેધડ રેત ખનન થાય છેજ ઉપરાંત તાલુકામાં હાલ માટી ખનનનો મુદ્દો પણ મોટા વિવાદમાં આવ્યો છે. જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા ગત 15 મી તારીખના રોજ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પરવાનગી વગર માટી ખોદકામ ચાલતું હોવાનું જણાતા માટી ખોદકામમાં વપરાતા એકસેવેટર મશીન અને ડમ્પર મળીને રૂપિયા 65 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો, દરમિયાન આજરોજ જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે થયેલ માટી ખોદકામ સંદર્ભે માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ તાલુકાના સારસા ગામ નજીક વહેતી માધુમતિ ખાડીમાં થતાં રેત ખનનમાં નાવડી મુકીને રેતી કઢાતી હોવાના મુદ્દે વિવાદ વકરતા જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા તા.૨૨ મીના રોજ સારસા ગામે માધુમતિ ખાડી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવતા મુકેશ શંકરભાઇ ભોઇ નામના ઇસમની લીઝ હોવાનું જણાયું હતું,ભુસ્તર વિભાગની તપાસ દરમિયાન ખાડીમાંથી ઉલેચેલ રેતીનો જથ્થો જોવા મળ્યો હતો,અને તપાસ સમયે જોવા મળેલ યાંત્રિક નાવડી અને એકસેવેટર મશીન લીઝ વિસ્તાર બહાર હોવાનું જણાતા ભુસ્તર વિભાગ દ્વારા રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે સારસા ગામે વહેતી માધુમતિ ખાડી નાની ખાડી છે, વળી નાવડીનો ઉપયોગ કરીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતા લીઝ સંચાલક દ્વારા નાવડીનો ઉપયોગ કરાતો હોવાનું બહાર આવ્યું છે. ભુતકાળમાં પણ સારસા ગામે માધુમતિ ખાડીમાં થતાં રેત ખનનને મુદ્દે વિવાદ ઉભો થયો હતો. ત્યારે હાલમાં પણ ભુસ્તર વિભાગ દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન ખાડીમાં લીઝની પરવાનગી વાળા સ્થળને બદલે અન્ય સ્થળે રેત ખનન થતું હોવાનું બહાર આવતા આ લીઝ સંચાલક ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ઉપરાંત નાવડીનો ઉપયોગ કરીને રેતી ઉલેચાતી હોઇ ભુસ્તર વિભાગ દ્વારા દંડનીય કારવાઇ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના સોસિયલ મિડિયા પર પ્રસિદ્ધ થયેલ નિવેદનને પગલે ભુસ્તર વિભાગની ટીમે આજરોજ તાલુકાના પડવાણીયા ડમલાઇ વિસ્તારમાં કથિત ખનિજ ચોરી બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ પુર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ગતરોજ સોસિયલ મિડીયા પર પડવાણીયા વિસ્તારમાં ચાલતા ખનિજ ખનન મુદ્દે નિવેદન આપ્યું હતું. સાસદ મનસુખભાઇ વસાવાએ સોસિયલ મિડીયા પર આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે રાજપારડી નજીક પડવાણીયા ડમલાઇ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી સિલિકા અને અન્ય ખનિજની ચોરી રાત્રીના ૫૦ થી ૬૦ જેટલા ડમ્પરો દ્વારા થાય છે.સાસંદે આ માટે સ્થાનિક આગેવાનો પોલીસ તેમજ તાલુકા જિલ્લાના અધિકારીઓની મિલીભગત હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી હતી,અને આને પગલે જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ એકશનમાં આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.ભુસ્તર વિભાગની ટીમ દ્વારા એક કપચી ભરેલ ટ્રક પણ ઝડપી હતી અને નિયમ ભંગ થયો હોવાનું જણાતા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

