14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે આપણા દેશના 40 સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ હુમલાને 6 વર્ષ વીતી ગયા છે પણ લોકોના મનમાં હજુ પણ આ પીડા તાજી છે.

વર્ષ 2019માં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓ પરના ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની બસને વિસ્ફોટક ભરેલા વાહનથી ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલો કેટલો ઘાતક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યા સુધી સંભળાયો હતો. આ હુમલાના સમાચાર સામે આવતા જ દરેક ભારતીયની આંખ નમ થઇ ગઇ હતી.

આ હુમલો પુલવામા જિલ્લાના અવંતીપોરા પાસેના લેથપોરા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. પુલવામા હુમલાના 12 દિવસમાં ભારતે પણ બદલો લઈ લીધો. વાયુસેનાએ પાકિસ્તાનની અંદર બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જૈશના લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા.