દાહોદ: પહેલાં ધોરણમાં ભણતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી જેમાં ચેકાવાનારો ખુલાસો થયો છે કે શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકીની હત્યા કરી તેને દાટી દીધી હતી.

તપાસમાં સામે આવ્યું કે શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી છે. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાય હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી.

શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે.

ઘટનાક્રમ: દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોક્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી. પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લેવાયા હતાં. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.