નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગત્ત સપ્તાહે SC-ST અનામત ક્વોટાની અંદર જ ઉપક્વોટા આપી શકાય તે પ્રકારનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારને લાગે છે કે, એસસી કે એસટી વર્ગની કોઇ જાતિ હજી પણ પછાત છે તો તેને સબ કોટા નિશ્ચિત કરી શકાય છે.

આ નિર્ણયને લઈને ભાજપ આ અંગે કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. જો કે આગરાની કેંટ સીટના ધારાસભ્ય જી.એસ ધર્મેશ એક્ટિવ થઇ ચુક્યા છે. તેમણે રવિવારે ભારત બંધનું સમર્થન કરતા સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જીએસ ધર્મેશ દલિત સમાજમાંથી આવે છે.

ભાજપ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી ડૉ. જીએસ ધર્મેશે કહ્યું કે, SC-ST અનામત સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ યોગ્ય નથી. એક પ્રતિનિધિ મંડળ ટુંક જ સમયમાં વડાપ્રધાન મોદીને મળવા જશે. 2 એપ્રીલ, 2018 ના એસસી-એસટી અત્યાચાર નિવારણ એક્ટના નિર્ણય અંગે કેબિનેટમાં થયેલા સંશોધનની જેમ જ આ નિર્ણયને પણ કેબિનેટમાં બદલવાની માંગ ઉઠાવાશે. ઉલ્લેખનીય છે કે, ચિરાગ પાસવાને આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવાની વાત કહી છે. જ્યારે નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. માયાવતીએ પણ આ નિર્ણય પર વિરોધ દર્શાવ્યો છે.