ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ગુજરાતના તમામ 55000 બુથોને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જિલ્લાઓમાં બેઠક કરી રહ્યા છે અને હવે પ્રદેશના નેતાઓ જિલ્લાના નેતાઓની સાથે મળીને તાલુકાઓની બેઠક કરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડાના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાએ મિશનવિસ્તાર કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાઓની બેઠકની શરૂઆત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકા, સંખેડા તાલુકા, નસવાડી તાલુકા, કંવાટ તાલુકા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ સિવાય પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા, ઘોઘંબા તાલુકા, હાલોલ તાલુકા, ગોધરા તાલુકા, મોરવા હડફ તાલુકા ખાતે પણ બેઠક યોજાઈ હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા, લુણાવાડા તાલુકા, સંતરામપુર તાલુકા ખાતે પણ ચૈતરભાઇ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા, દાહોદ તાલુકા, ઝાલોદ તાલુકા અને ફતેપુરા તાલુકા ખાતે પણ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી.

ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તાલુકા સંગઠનના લોકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. કઈ રીતે લોકોના મુદ્દા ઉઠાવવા, કઈ રીતે લોકોના મુદ્દાને લઈને રોડ રસ્તા પર ઉતરવું, કઈ રીતે તંત્ર સમક્ષ રજૂઆત કરવી, કઈ રીતે ચૂંટણીલક્ષી બેઠકો કરવી, કઈ રીતે બુથનું આયોજન કરવું, આવી તમામ બાબતો પર ચૈતરભાઈ વસાવાએ માર્ગદર્શન આપ્યું હતું.

આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગુજરાતના તમામ 55000 બુથો પર દરેક બુથ દીઠ પાંચ પાંચ લોકોની નિયુક્તિ કરશે અને તેના માટે હાલ ચાલી રહેલી તાલુકા કક્ષાની બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાલુકા કક્ષાઓની બેઠક બાદ શહેર અને ગામડાઓમાં મિશન વિસ્તારની બેઠકો કરવામાં આવશે અને ત્યારબાદ શહેર અને ગામડાના સ્થાનિક નેતાઓ પ્રદેશના નેતાઓની સાથે મળીને બુથ લેવલ સુધીની મીટીંગો કરશે. અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે.