ગરૂડેશ્વર: હાલમાં ગરૂડેશ્વર તાલુકાના લીમખેતર ગામ ખાતે નદીના બ્રિજની ગોકળ ગાયની સ્થિતિએ ચાલી રહેલી કામગીરી બંધ કરવામાં આવતા લોકો ચિંતિત બન્યા છે, આ કામગીરી રજૂઆત કરવા છતાં, આગામી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી કોઈ પરિસ્થિતિ નથી દેખાતી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર માત્ર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે રોડ, બ્રિજ બનાવવાનાં હોઈ ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરે પરંતુ સામાન્ય જનતાને અવરજવર કરવાના રસ્તાઓ, બ્રિજ બનાવવામાં જાણે આળસ આવતી હોઈ એવી રીતે કામગીરી કરતા જણાય છે.

ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગરૂડેશ્વર તાલુકાના લીમખેતર થી ગડી જતર, જાંબલી ગામને જોડતા નદીના બ્રિજનું કામ પૂર્ણ થયું ન હોવાથી ૪ થી વધુ ગામોનાં હજારો વાહન ચાલકો તેમજ આસપાસના ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે. જિલ્લા, તાલુકા મથકે કચેરીઓમાં, ખરીદી કરવા જતાં લોકો, સ્કૂલ, કોલેજ, ITI, કોમ્પ્યુટર ક્લાસ સહિતના અભ્યાસ અર્થે હજારો વિધાર્થીઓનું ભાવી જોખમમાં મુકાશે તેવી વિધાર્થીઓને સતાવતી દહેશત થી વાલીઓ પણ ચિંતિત બન્યા છે.

ગામ લોકોનું કહેવું છે કે, છેલ્લો ૬ મહિના થી બ્રિજ બનાવવાની કામગીરી એટલી ધીમીગતિએ ચાલતી હતી, જે હાલ બંધ કરિદેવામાં આવતા અમારા ૪ જેટલા ગામોના લોકોને અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોઈ તાલુકા, જિલ્લા મથકે કામ અર્થે કે ખરીદી કરવા જતા લોકો અને અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને ચોમાસામાં નદીમાં પાણી આવી જશે, નદી ક્રોસ નહિ થાય. જેથી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાશે.

અમારી માંગ એ છે કે, આ બ્રિજ તો હાલ વહીવટી તંત્ર પૂર્ણ કરે એવું અમને નથી લાગતું કારણે અમે રજુઆત કરી ત્યારે દિવાળી થી કામ શરૂ થશે એવો જવાબ મળ્યો હતો. ત્યારે અમારા ૪ ગામના લોકોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થો કરી આપે એવી માગ છે. જેથી લોકો અને બાળકોના ભવિષ્ય જોખમમાં ન મુકાય.