વલસાડ: વલસાડમાં કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ સંજીવ ઓક, IAS ને વલસાડ કલેકટરના પદભાર માંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. વલસાડ RAC ને કલેકટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આયુષ સંજીવ ઓક, IAS કલેક્ટર, વલસાડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે 23/06/2021 થી 01/02/2024 દરમિયાન મહેસૂલી જમીનના મામલા સાથે કામ કરતી વખતે સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન પહોંચાડ્યું છે.

Decision news ને મળેલી માહિતી અનુસાર, સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાના કૌભાંડ મામલે ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કૌભાંડ કેસમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓક (Collector Aayush Oak)ને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ગુજરાત સરકાર, અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969 ના નિયમ-3 ના પેટા-નિયમ (1) ની કલમ (એ) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને આયુષ સંજીવ ઓકને તાત્કાલિક અસરથી સસ્પેન્શન કરતો હુકમ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લોકસભા ચૂંટણીઓના કારણે એક જગ્યા પર ત્રણ વર્ષ સુધી કામગીરી કરી રહેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેના પગલે આ નિયમને કારણે સુરતના કલેક્ટર આયુષ ઓકની 30મી જાન્યુઆરીએ વલસાડ બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતાં સોપો પડી ગયો છે.

વધુમાં એવો આદેશ આપવામાં આવ્યો છે કે આયુષ સંજીવ ઓક, IAS રજાના પગારની બરાબર રકમ પર નિર્વાહ ભથ્થું મેળવવા માટે હકદાર હશે. ઉપરાંત, તેઓ તેમના સસ્પેન્શનના સમયગાળા દરમિયાન મુખ્ય મથક પાટણ જીલ્લા ખાતે રહેશે. તેમણે દર મહિને એક પ્રમાણપત્ર આપવું પડશે કે તે અન્ય કોઈ રોજગાર, વ્યવસાય અથવા વ્યવસાયમાં રોકાયેલ નથી. આ પ્રકારનું પ્રમાણપત્ર દર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સરકારના અધિક મુખ્ય સચિવને રજૂ કરવામાં આવશે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, આયુષ સંજીવ ઓક, IAS સરકારના અધિક મુખ્ય સચિવની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના મુખ્ય મથક (એટલે કે જિ. પાટણ) છોડશે નહીં.

આ ઓર્ડર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અન્ડર સેક્રેટરી (Ser.ll) જયમીન શાહે ગુજરાત ના રાજ્યપાલના આદેશથી કર્યો છે. આ ઓર્ડરની કોપી જે તે સંલગ્ન વિભાગને મોકલી છે. કલેકટર ઓક ને ફરજ મૌકૂફ કરવા અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ જ્યારે તેઓ સુરતમાં કલેકટર હતા ત્યારે ત્યાં એક મોટા જમીન કૌભાંડ નો પર્દાફાશ થયો હતો. જેમાં આયુષ ઓક નું નામ પણ ગાજયું હતું. કદાચ આ અંગે ચાલતી તપાસને લઈ તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાય રહ્યું છે.

ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે. સચિવાલય ગાંધીનગરથી થયેલ ઓર્ડર મુજબ શ્રીમતી. એ. આર. ઝા, GAS, વર્ગ-1 (વરિષ્ઠ સ્કેલ). નિવાસી અધિક કલેક્ટર, વલસાડને હાલ આગળના આદેશો મળે નહીં ત્યાં સુધી આયુષ સંજીવ ઓક, IAS ના સ્થાને કલેક્ટર, વલસાડના પદનો વધારાનો હવાલો સોંપાયો છે.