વાંસદા: ગતરોજ વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં ગામ ખાટાઆંબામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદા દ્વારા ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી ખેડૂતોએ ભાગ લઇ યોજનાકીય માહિતીની જાણકારી મેળવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ શિબિરનું આયોજન ખાટાઆંબા ગામના આશ્રમશાળામાં રાખવામાં આવ્યું હતું જેમાં બાગાયતી–શાકભાજી, મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી અને માર્કેટિંગ જેવા વિષે માહિતી આપવામાં આવી હતી. કૃષિ યુનિવર્સિટી નવસારીનાં તજજ્ઞ ડો. ગુર્જર દ્વારા બાગાયતી શાકભાજી પાકોમાં રસાયણિક ખાતરોનો વિવેકપૂર્વક ઉપયોગ તથા એની માવજત વિશે કહેવામાં આવ્યું.
ખેતીવાડી અધિકારી કુંજલ ગાંગોડા દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પરથી ખેડૂત સહાય વિષે જણાવ્યું અને જિલ્લા રજિસ્ટ્રાર નવસારી ભાવિક ચૌધરી દ્વારા માલપરિવહન યોજના અને સોલાર સબસિડીની માહિતી આપી હતી. શિબિરનું સમાપન મણીલાલ પટેલે કર્યું હતું.

