ચીખલી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભૌતિક પટેલની હત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેને ચીખલી પોલીસે બાતમીના આધારે દમણથી ઝડપી પાડી રિમાન્ડ મેળવી વધુ પાંચ આરોપીના નામ ખુંલ્યું છે. આજે રિમાન્ડનો છેલ્લો દિવસ હોય આવતીકાલે કોર્ટમાં રજૂ કરી જેલ કસ્ટડીમાં મોકલ્યા છે.
આ હત્યા પ્રકરણમાં 26 નવેમ્બરમાં હત્યાનો ગુનો ગણદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 7 મહિના ભૌતિક પટેલની લાશ જમીનમાં રહ્યા બાદ બહાર આવી હતી. અત્યાર સુધી આ કેસમાં LCB એ કુલ 6 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં (1) હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઈ ટંડેલ રહે. અમલસાડ તા. ગણદેવી જી. નવસારી (2) મનિષ ઉર્ફે ગુડ્ડુ રંગનાથ પાઠક રહે. અમલસાડ તા. ગણદેવી જી.નવસારી (3) સતિષ વિનોદભાઈ પટેલ રહે. અમલસાડ તા. ગણદેવી જી.નવસારી (4) ગિરીશ રંગનાથ પાઠક રહે. અમલસાડ તા.અમલસાડ જી. નવસારી (6) વિશાલ અશોકભાઈ હળપતિ રહે. અમલસાડ જી. નવસારીની ધરપકડ કરી હતી. જ્યારે લાંબા સમયથી હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલ્પેશભાઈ છગનભાઈ પટેલ રહે. આંતલીયા તા. ગણદેવી જી. નવસારી વોન્ટેડ હતો. એલસીબીએ શરૂઆતમાં હત્યારાઓને ઉપાડી લેતા તેની ગંધ કલ્પેશને આવી જતાં નાસી છુટયો હતો.
આરોપી રાજસ્થાનમાં રોકાયો હોવાનું આવ્યું બહાર..
ભૌતિક પટેલ હત્યાકાંડમાં પહેલાં તબક્કામાં કુલ 6 આરોપીની ધરપકડ કરી હતી. તેની ગંધ કલ્પેશ પટેલને આવી જતા તે પોલીસને હાથ તાળી આપી સીધો રાજસ્થાન નાસી ગયો હતો. જ્યાં તે અલગ અલગ શહેરોમાં ફર્યો હતો ત્યારબાદ તે દમણ જવા નીકળ્યો હતો અને દમણમાં થોડો સમય રોકાયો હતો.
આરોપી કલ્પેશ પટેલ દમણના કોઈ બારમાં શાંતિથી બેઠો હતો અને પાછળથી પોલીસે આવીને કહ્યું કલ્પેશ પાછું વળીને તેણે જોતા પાછળ પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરી હતા અને તે જોતાં તે પરસેવે રેબઝેબ થયો હતો.
આરોપી કલ્પેશની ધરપકડ તા. 28મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 29 મી કોર્ટમાં રજુ કરતાં 9 દિવસ રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં તેણે વધુ પાંચ આરોપીઓ ના નામ ખોલ્યા હતા. જેમાં વિશાલ અર્જુનભાઈ ડાભીયા, દિલપેશભાઈ ઉર્ફે દીપુ કાંતિ પટેલ, જીજ્ઞેશ શાહ ઉર્ફે જીગના વિજયભાઈ નાયકા, તુષાર ઉર્ફે તુલસી કેશુભાઈ પારગી અને રવિ કુમાર ઘનશ્યામભાઈ વર્મા ની ધરપકડ કરી છે સાથે જ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્યારના કેસમાં એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. તેનો રોલ શું હતો તે હજુ સુધી પોલીસે બહાર પાડ્યો નથી. ભૌતિક પટેલની હત્યા કર્યા બાદ આરોપી કલ્પેશ પટેલે પોતાના ભાઈ નીમેશના હત્યાનો બદલો લીધો હોય તેમ માથે ટકો કરાવીને ગામમાં પોતાનો રોફ જમાવવા બદલો લીધો હોવાનો સાંકેતિક પુરાવો આપ્યો હતો. જોકે કેટલાક લોકો એ માની લીધું હતું કે ભૌતિક ની હત્યા થઈ હશે પરંતુ તેઓ પાસે તેનું કોઈ નક્કર પુરાવો ન હતો અને બસ આ જ હરકત કલપેશને ભારે પડી અને ભૂતકાળમાં કરેલી આ હરકતના કારણે હત્યામાં તેની સંડોવણીના અનેક કારણો પૈકીનું એક કારણ બન્યું હતું.
હત્યાકાંડની સમગ્ર ઘટના ?
વાત છે 2021 ની કે જેમાં બીલીમોરા પાસેના આંતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેષ પટેલની આતંરિક અદાવતમાં તિસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી, હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી એક હતો છાપર ગામનો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું જેનું હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતાં તમામને જેલ મોકલવામાં આવ્યા હતા થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા, જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો. મરનાર નિમેષ પટેલના ભાઈ કલ્પેશના મગજમાં બદલાની આગ સળગી રહી હતી પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન ઘડ્યો, અને પાંચ કરોડની સોપારી આપી ભૈતિકને ઠેકાણે પાડવાની તારીખ નક્કી કરી. ભૌતિકને આસાનીથી મારી શકાય તે માટે તેના જ નજીકના મિત્રોનો સહારો લેવામાં આવ્યો અને તેમની મદદ લઈ 6 એપ્રિલ 2023 ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પાર્ટી કરવાને બહાને રાતના સાડા દસ વાગ્યે બોલાવવામાં આવ્યો હતો જેમાં નજીકના મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેની મદદમાં આદર્શ પટેલ, મનિષ ઉર્ફે ગુડ્ડુ પણ હાજર હતા. હવે લાશનો નિકાલ કરવા માટે 3 એ મળી તેને થેલામાં પેક કરીને અમલસાડ રેલવે પટ્ટી પાસેના મસાની મેલડી માતા મંદિર સામે સરકારી પડતર જગ્યામાં લઈ જઈ આરોપી સતિષ પટેલ તથા ગિરીશ પાઠકે જમીનમાં ખાડો ખોદી લાશ જમીનમાં દફનાવી હતી.

