વલસાડ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે આવેલ વલસાડ જિલ્લાના 3 ગામ અને દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલ 1 ગામ મળી કુલ ગુજરાતના 4 ગામને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભેળવવા અંગે આગામી 28મી ઓગસ્ટના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી વાતો બહાર આવી રહી છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આવનાર 28મી ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની એક બેઠક મળનાર છે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યો અને એક સંઘ પ્રદેશની બેઠકમાં વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં ભેળવવાના નિર્ણય અંગેની વિચારણા ચાલી રહી છે. ભૌગોલિક સ્તરે મેઘવાળ ગામ એ ગુજરાતના વલસાડ જિલ્લાનું હોવા છતાં તેને ચારેબાજુથી દાદરા નગર હવેલીની સરહદ સ્પર્શે છે. આ ગામ દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલું ગુજરાતનું ગામ છે. જ્યારે એ ઉપરાંત નગર, રાયમલ અને મધુબન આ ત્રણેય ગામો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે અને મધુબન ડેમ નજીક આવેલા ગુજરાતના વલસાડ જિલ્લાના બોર્ડર વિલેજ (ગામ) છે. ચારેય ગામો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવે છે. પરંતુ મોટાભાગની સુવિધા માટે સંઘ પ્રદેશ પર નિર્ભર છે.

આ બેઠકમાં ત્રણ રાજ્યોના CM અને સંઘપ્રદેશના પ્રશાસક સહિત સરકારના સિનિયર ઓફિસર્સ પણ ઉપસ્થિત રહેશે. જો કે, 8 વર્ષ જુના મામલાને લઈ છેલ્લા 2-3 વર્ષથી સ્થાનિક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમ છતાં જો આ ગામોને સંઘપ્રદેશ માં ભેળવવામાં આવશે તો, ગુજરાતના નકશામાં ફેરફાર થવા સાથે સ્થાનિક લોકોના દસ્તાવેજીકરણ મામલે પણ અનેક અડચણો ઉભી થશે એ નક્કી છે.