ખેરગામ: કોરોના મહામારીમાં વેરવિખેર થયેલા ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામના સ્વ.રમેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનું 2022 માં બન્નેનું અકાળે નિધન થતાં, 4 વર્ષની નાનકડી બાળકી માતાપિતાની છત્રછાયા છીનવાઈ જતાં નોંધારી બની ગઈ છે. બાળકી એના વયોવૃદ્ધ દાદાદાદી રહે છે તેની મદદે સમસ્ત આદિવાસી સમાજ અને લોક મંગલમ ટ્રસ્ટ ખોબા પોહ્ચ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ નોંધારી બની ગયેલી દીકરી વિષેની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો. દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા, નિદિવ અને ધરમપુર તાલુકાના મૃદુભાષી અદના સમાજસેવક નિલમભાઈ પટેલ ઉર્ફે નીલમભાઈ ખોબાને મળી હતી અને તેઓ સૌ બાળકીના ઘરે બાળકીના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં પરિસ્થિતિ હાલડાં કુસ્તી કરે એવી હતી. આથી પરિવારને દોઢ-બે મહિના ચાલે એટલું અનાજ કરિયાણું આપવામાં આવ્યું હતું અને ખોબા ગામ ખાતેના છાત્રાલયમા બાળકીને પ્રવેશ અપાવી કોલેજ સુધીના ભણતરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની પરિવારને સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલ હતી. અને પરિવારના પડતર પ્રશ્નો માટે ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ, આછવણી ગામના કારકુન મંગુભાઇ, શિક્ષક રાજેશભાઈ પટેલે ઘટતું કરવાની બાંહેધારી આપી અને મદદરૂપ થવાના પૂરતા પ્રયાસો કર્યા હતાં.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે અમને અમારી ટીમ થકી ખબર પડી કે ડેબરપાડા ગામમાં એક બાળકીના ઘરની હાલત દયનીય છે.આથી અમે મિત્ર નિલમભાઈ સાથે મળીને મુલાકાત લેતા પરિસ્થિતિ ખુબ જ હૃદયદ્રવક લાગતા અમે બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ભણતરની જવાબદારી માથે લીધેલ છે અને પરિવારને કોઈપણ કામમાં તકલીફ પડે તો મદદરૂપ થવાની ખાતરી આપી છે. આ સેવાયજ્ઞમા ડો.નીરવ ગાયનેક, ડો.અમિત દળવી, દલપતભાઈ, કીર્તિભાઇ, શીલાબેન, નીતા, વંદના કાર્તિક, પથિક, જયમીન, અજય, મયુર, મેહુલ, જીજ્ઞેશ, પ્રિયાંક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.