કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે National Testing Agency (NTA) દ્વારા તા.29 સપ્ટેમ્બર-2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજાનાર છે.

આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ આગામી તા.10 ઓગષ્ટ-2023 સુધીમાં NTA Portal પરની https://yet.nta.ac.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શિષ્યવૃત્તિ માટે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજવામાં આવનાર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા/સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ-9 અને ધોરણ-11ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વર્ષ 2023-24માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.9 થી 12માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.2.50 લાખથી વધુ ન હોય તેવા ધો.9 અને 10ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.75000 સુધી અને ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વધુમાં કોઇપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જો આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.