મુંબઈ: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહેલાં કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોસ્ટર હટાવી દીધું હતું.
આ પોસ્ટર યુથ કોંગ્રેસના સભ્ય રંજીતા વિજય ગોરે લગાવ્યું હતું. પોસ્ટરમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા સચિન તેંડુલકરના ‘મૌન’ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રમતની દુનિયામાં તમે ‘ભગવાન’ છો, પરંતુ જ્યારે કેટલીક મહિલા ખેલાડીઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે તમારી માનવતા ક્યાંય દેખાતી નથી.
કુસ્તીબાજોએ મંગળવારે તેમના ચંદ્રકોને ગંગા નદીમાં પધરાવવાની જાહેરાત કરી હતી પરંતુ ખાપ અને ખેડૂત નેતાઓના સમજાવટ બાદ તેમ કર્યું ન હતું. હવે ખાપ પંચાયતો એ આ કુસ્તીબાજો પાસે 5 દિવસનો સમય માગ્યો છે હવે જોવું એ રહ્યું કે આવનારા પાંચ દિવસમાં શું થાય છે.

