વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રે દ્વારા જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવા કે બોલાવવા, રેલી કે સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ -1951ની કલમ-37(3) થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા સેવા સદન, જિલ્લાના દરેક તાલુકાઓના સેવા સદન અને અન્ય કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવાસદનના પરિસરથી 200 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા. 12-05-2023 સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવા કે બોલાવવા, રેલી કે સરઘસ કાઢવા, ધરણા કે પ્રતિક ધરણા, ભૂખ હડતાળ કે ઉપવાસ ઉપર બેસવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ હુકમ સ્મશાન યાત્રા કે લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી ખાસ કિસ્સાની લેખિત પરવાનગીને, ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવા અને ગૃહરક્ષક દળના વ્યક્તિઓને તેમજ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ 135(3) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા ના હોય તેવા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

