નવસારી: પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજન વિષે વાત કરવામાં આવી હતી.
નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ શ્રી કે.કે.નિરાલાએ પુરવઠા વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., નગરપાલિકા, કૃષિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આગોતરૂ આયોજન કરી, પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા કરી સૌના સહયોગથી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રભારી સચિવશ્રીએ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન, કોવિડ-૧૯ આયોજન તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, નાયબ વનસંરક્ષકશ્રી નિશા રાજ, પ્રાયોજના વહીવટદાર શ્રી નલવાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ગઢવી, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.











