ગુજરાત: વર્તમાન સમયમાં રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની જમીનમાં વડિલો પાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ વગેરે બાબતોને લઈને પરિપત્ર કર્યો છે.
સંદેશના ન્યુઝના અહેવાલ અનુસાર જેમાં ખેડૂતો ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે રૂ.100ને બદલે 300ની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવા એકરારનામું કરવા જોગવાઈ જાહેર થઈ છે. ગુજરાત સરકારે વારસાઈથી હક તબદિલીને તબક્કે એક સમાન સ્ટેમ્પ ડયૂટી અને પ્રક્રિયા સંદર્ભે વર્ષ 2016માં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક સુધારા જાહેર કર્યા હતા.
14 માર્ચ 2016ના રોજ 6 પાનાનો વિસ્તૃત ઠરાવમાં ”ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી અને પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે ખેતીની જમીન માટે રૂ.100ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલ એકરારનામું કરવાનું રહેશે” એવી જોગવાઈ કરાઈ હતી. આ જોગવાઈ મુજબ વારસદારોમાં પુત્ર, પુત્રી કે પત્ની હોય તો વધારાની કોઈ સ્ટેમ્પ ડયૂટી લેવાતી નહોતી. પરંતુ, પુત્ર કે પુત્રીનું મિલકત વહેંચણી પહેલા મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના સીધી લિટીના વારસદારો (પૌત્ર)ના ભાગે આવતી મિલકતની બજારકિંમતને આધારે સ્ટેમ્પ ડયૂટી લેવાય છે. આથી, આવા કિસ્સાને પણ ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો ગણી લાભ આપવાની બાબત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. મહેસૂલ વિભાગે તેના માટે પુત્ર, પુત્રી અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ્દ કર્યા છે.

