સુબીર: આજરોજ સુબીર ખાતે સુબીર તાલુકા યુવા સંગઠન અને એકલ નારી શક્તિ મંચ ડાંગ દ્વારા ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિલેશભાઈ ઝામરેને આવનારી વિધાનસભાની ચુંટણી ઢંઢેરાને ધ્યાનમાં રાખીને વંચિત સમુદાયના પ્રશ્નો તેમજ એકલ નારી શક્તિ મંચ ડાંગ દ્વારા એકલ બહેનોના અમુક પ્રશ્નો અંગેની રજૂઆતો કરવામાં આવી હતી.
જયનાબેન નું કહેવું છે કે એકલ બહેનો માટે આવાસની સુવિધા કરવામાં આવે , ડાકણ પ્રથા માટે કડક માં કડક કાયદો બનાવવામાં આવે, વિધવા બહેનોનું પેન્શન વધારી 1200 ની જગ્યાએ મોંઘવારીને ધ્યાનમાં રાખીને 3000 થી 4000 કરવામાં આવે એવી માંગો કરી છે.
જુઓ વિડીઓ..
ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ મહિલાના ૮ % મહિલાઓ એકલવાયું જીવન યાપન કરી રહી છે. ગુજરાતમાં એકલ મહિલાઓની સંખ્યા કુલ મહિલા સંખ્યાના ૮ % એટલે કે ૨૩૭૧૧૩૦ છે, જેમાં વિધવા -૨૦૧૫૭૪૨, ત્યકતા – ૭૨૩૪૬, છૂટાછેડા–૮૮૭૫૩, અવિવાહિત- ૧૯૪૨૮૯ મહિલાઓનો સમાવેશ થાય છે. છતાં એમના સામાજિક, આર્થિક, વિકાસ અને સુરક્ષા માટે કોઈ વિશેષ સુવિધા ન હોવાના કારણે એકલ મહિલાઓને પોતાના જીવન યાપન કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એકલનારી શક્તિ મંચની કામગીરી દરમ્યાન થયેલ અનુભવોને આધારે ગુજરાતની એકલ મહિલાઓના મુદ્દાઓ પ્રત્યે પાર્ટીનું ધ્યાન દોરાય અને ગુજરાતની એકલ મહિલાઓના પ્રશ્નોને ચૂંટણી ઢંઢેરામાં મૂકે તે અંગે રજૂઆત કરી હતી.
સુબીર તાલુકાના યુવા અમૂલ પવાર નું કહેવું છે કે આદિવાસીઓના અત્યાચાર અધિનિયમ કાયદાને વધુ મજબૂત કરવામાં આવે, આદિવાસીઓના વિકાસ માટેના બજેટ માટે રાજ્ય સ્તરીય કાયદો બનાવવામાં આવે, આદીવાસી સંસ્કૃતિના પુનરુત્થાન માટે સાંસ્કૃતિક એકેડમીની સ્થાપના કરવામાં આવે એવી માંગો કરવામાં આવી છે. રજૂઆતને ધ્યાનમાં રાખીને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓને મેનિફેસ્ટોમાં મૂકશે એવી બાહેધરી આપી છે

