કપરાડા: નાનાપોઢાં ગામે લુહાર ફળિયામાં શૈલેષના ઘરની દીવાલમાં ટીટોડીના પાંચ ઇંડા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં આદિકાળથી માન્યતા મુજબ જેમ વડીલો આગાહી કરી છે કે આ વખતે સમયસર અને સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ પ્રાપ્ત થયા છે.
નાનાપોઢાં ગામે ઘરની દિવાલમાં 5 ઈંડા અને ગાંવિત ફળિયાની આંબાવાડીમાં ટીટોડીના એક બે નહીં પણ પુરા પાંચ ઈંડા મળી આવ્યા હતા. ચૈત્ર મહિનામાં જ ઈંડા મળતાં ચોમાસુ વહેલુ અને સારૃં જવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાાનને વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. ત્યારે હાલ ચૈત્ર મહિનામાં જ ટીટોડીના પાંચ ઈંડા મળી આવ્યા છે.
ખેડૂતના જણાવ્યા અનુસાર ટીટોડીએ કુદરતી કરિશ્મા સમાન પાંચ ઈંડા મુક્યા છે. ખેડૂત પરિવાર ટીટોડીના ઇંડાનુ જતન કરી રહ્યો છે. આ વર્ષનું ચોમાસુ વહેલુ અને સારૃં જવાના એંધાણ વર્તાતા જગતનો તાત હરખાયો છે

