વલસાડ જિલ્લાના ધરમપુર-દશેરા પાટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનારા કુંકણા સમાજ પ્રેરિત ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્‍કૃતિક ભવનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી નરેશભાઇ પટેલ જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ આદિવાસી દેવી-દેવતાઓની પૂજા સાથે કરાયો હતો.

આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ધરમપુર વિસ્‍તારમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કુકણા સમાજ પ્રેરિત સમાજ ભવન થકી સમાજની પ્રગતિ થાય તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી. સમાજ માટે ભવન બને એ ખૂબ જરૂરી છે, સમાજની અંદર સારા વિચારો શુદ્ધ ભાવના ક્ષમતા પ્રમાણે દરેક ટીમનું યોગદાન હશે તો જ સમાજ ભવન લાંબા સમય સુધી જળવાઈ રહેશે.

આ ભવન અનેક પેઢીઓને ઉપયોગી થાય તે માટે પૂરતી કાળજી રાખી ગુણવત્તાયુક્‍ત બને તેની તકેદારી રાખવી જોઈએ. આદિવાસી સમાજના આગેવાનો તેમની પેઢી ઉચ્‍ચ શિક્ષણ મેળવે અને સમાજમાં અનેરું સ્‍થાન પ્રાપ્ત કરે તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરે તેવી અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. આ સમાજ ભવનમાં અદ્યતન લાઈબ્રેરીની સગવડ ઊભી કરાશે, જે દરેક વિષયના વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે. આ સરકારે શિક્ષણ ઉપર વધુ ભાર આપ્‍યો છે અને કોઈપણ સમાજમાં શિક્ષણ સિવાય કોઈનું ભલું થવાનું નથી, ત્‍યારે આદિજાતિનો દરેક બાળક સંસ્‍કાર સાથે ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્‍ય બનાવે તે માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પૂરતી સુવિધાયુક્‍ત છાત્રાલયો બનાવાયા છે. એકલવ્‍ય મોડેલ શાળા ખાતે સગવડતા સાથે શિક્ષણ આપવામાં આવે છે. ભવનના નિર્માણ સુંદર અને મજબૂત બને તે માટે ખૂટતી કડી માટે આવનારા દિવસોમાં પૂરતા સહયોગની ખાતરી તેમણે આપી હતી, જેમાં સમાજના અગ્રણીઓ પણ પોતાનાથી બનતો સહયોગ આપે તે જરૂરી છે.

આ અવસરે રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, કુકણા સમાજ સમાજના કામ માટે એક જૂથ થઈને કામ કરનારી ભાણાભાઈ અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે. કુકણા સમાજની મહારાષ્‍ટ્ર, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટી વસતિ છે અને આપણે સૌ એકત્ર થઈને સમાજ માટે સારું કામ કરીશું તો સમાજનો અવશ્‍ય સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના મુખ્‍યમંત્રી શાસનકાળ દરમિયાન આદિજાતિના વિકાસ માટે કરેલા પ્રયાસોને કારણે આજે આદિજાતિના અનેક લોકોએ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધી છે.

પૂર્વમંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્‍યું હતું કે, સૌના માટે યાદગાર અને મહત્ત્વનો બની રહેશે કારણ કે, કુકણાં સમાજની માંગણી આજે પુરી થઈ છે. આ વિસ્‍તારના પદાધિકારીઓ આદિવાસી સમાજ માટે એક ટીમ બનીને કામ કરી રહયા છે. આદિવાસી સમાજના ઉત્‍થાન અને કલ્‍યાણ માટે રાજ્‍ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લઇ પ્રગતિ સાધી આગળ વધી અન્‍ય સમાજની હરોળમાં આવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ ડો.કે.સી.પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ અને કુકણા સમાજ પ્રમુખ ભાણાભાઈ ભોયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સ્‍વાગત પ્રવચનમાં પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યપાલક ઇજનર એન.એન.પટેલે ભવન બાંધકામની વિગતવાર જાણકારી આપી હતી અને ગુણવત્તાયુક્‍ત અને સુવિધાયુક્‍ત બનાવશે તેવી ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે આદિજાતિ સમુદાયના સૈનિકોનું સન્‍માન કરાયું હતું. આદિવાસી સમાજના કલાકારોએ મનમોહક ડાંગી નૃત્‍ય અને પાવરી નૃત્‍ય રજૂ કર્યા હતા. ડી.એમ.પી. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજૂ કર્યા હતા. આભારવિધિ કુકણા સમાજ અગ્રણી મણિભાઈ ભોયાએ આટોપી હતી.

BY અંકેશ યાદવ