છોટાઉદેપુર : દુનિયાના શ્રેષ્ઠ વિધાર્થીનું સન્માન મેળવનાર, વિશ્વ રત્ન અને આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી ડો.બાબા સાહેબ આંબેડકરના 65માં  મહાપરિનિર્વાણ દિને છોટાઉદેપુર નગર સ્થિત ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ડો.બાબા સાહેબનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશના મહુ પાસેના નાના ગામમાં રામજી માલોજી સકપાલ (મહાર) અને માતા ભિમાબાઈને ત્યાં થયો હતો, ભીમરાવ એ રામજી માલોજી સકપાલના ૧૪ સંતાનો પૈકી છેલ્લું સંતાન હતું, ડો બાબા સાહેબ આંબેડકરનાં પિતા રામજી માલોજી સકપાલ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મધ્યપ્રદેશનાં ઈન્દોર નજીકના મહુ છાવણીમાં સેનામાં મેજર સૂબેદાર તરીકે કાર્યરત હતા, ભીમરાવના પિતા રામજી સક્પાલ હંમેશા બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન રાખતા હતા. સન ૧૮૯૪માં રામજી સક્પાલ સેનાની સેવાઓમાંથી નિર્વુત થઈ ગયાં હતાં. સેવા નિવૃત્તિ બાદ બાળકોનું શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન રાખતા રામજી સક્પાલએ ભીમરાવની ભણવા પ્રત્યેની સવિશેષ રુચિ પારખી જતા તેમને મહારાષ્ટ્રના સતારા પાસેની સરકારી સ્કુલથી લઈને કોલંબસ યુનિવર્સિટી સહિતની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા. જેમાં વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ ડો. ભિમરાવ આંબેડકરનાં અભ્યાસ અર્થે વિદેશ મોકલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. અનેકવિધ ડોક્ટરેટની ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરેલ ડો. બાબા સાહેબને દેશની આઝાદી બાદ દુનિયાની સૌથીમોટી લોકશાહીના ભારતીય બંધારણ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ૨ વર્ષ, અગીયાર મહિના અને અઢાર દિવસની મહેનતે ભારતીય બંધારણ લખ્યું હતું અને ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ આ મહામાનવમાં પ્રકૃતિની ગોદમાં મહા પ્રયાણ કર્યું હતું.

આ પ્રસંગે છોટાઉદેપુર નગર પાલિકા સદસ્ય વેલજીભાઈ રાઠવા, શૈલેષભાઈ રાઠવા, સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા, શિવમ ભાયાભાઈ રાઠવા, કિરીટભાઈ ચૌહાણ, કેતનભાઈ ચૌહાણ, સહદેવ પરસોડીયા, મનહરભાઈ પરમાર (કરજવાંટવાળા) સહિત ના કાર્યકરો એ ફુલહાર પહેરાવી ડો બાબા સાહેબ આંબેડકર અમર રહો,જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.