ચીખલી: ગુજરાતના તમામ જિલ્લાઓના તાલુકામાં કોરોનાનું સંક્રમણ આજે મોટા પ્રમાણમાં ફેલાયું છે તેવા સંજોગોને ધ્યાનમાં લઇ ચીખલી મામલતદારએ વેપારીઓ સાથે મિટીંગ કરી સોમથી શુક્રવાર સુધી 7 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાનો અને 10 અને 11મી એપ્રિલે સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.

મળેલી માહિતી પ્રમાણે ગઇકાલે ચીખલી મામલતદાર કચેરીમાં ટીડીઓ હિરેન ચૌહાણ, મામલતદાર પ્રિયંકાબેન પટેલ, નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ભાજપના મહામંત્રી સમીર પટેલ સહિત ચીખલી તાલુકા વેપારીઓની ઉપસ્થિતમાં બેઠક કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન 10 અને 11મી એપ્રિલે સંપૂર્ણ લોકડાઉન રાખવા અને 30મી એપ્રિલ સુધી ફક્ત રવિવારે જ બંધ રાખવાનો નિર્ણય કરાયો જયારે 30મી એપ્રિલ સુધી સોમવારથી શુક્રવાર સાંજના 7 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવા અને દૂધની તેમજ દવાની દુકાન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો.જો લોકડાઉનમાં વગર માસ્કે કે ફરવા નીકળનાર પ્રથમ વાર ઝડપાશે તો રૂપિયા 200 બીજી વાર ઝડપાશે તો રૂપિયા 500 અને ત્રીજીવાર ઝડપાશે તો રૂપિયા 1 હજાર દંડ કાર્યવાહી થશે તેની ખાતરી આપી.