બિહાર ચુંટણીના મેદાનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલ ગાંધીની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી.

   રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદાખ હું ગયો છું. લદાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી પાણી એક કરીને જમીનની રક્ષા કરે છે. ચીને આપણા 20 જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવી દીધો. પરંતુ પ્રધાનમંત્રીએ ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. તેમણે ખોટું કહ્યું કે ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું નમાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો.

    રોજગારીનો મુદ્દો પણ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અને કહ્યું પીએમ મોદીએ ગત વખતે કહ્યું હતું કે 2 કરોડ લોકોને રોજગાર મળશે. પરંતુ શું મળ્યું- ઝીરો. આવે છે અને કહે છે ખેડૂતો, મજૂરો, સેના અને નાના વેપારીઓ સામે માથું નમાવું છું. પરંતુ ઘરે જઈને અંબાણી અને અદાણી માટે કામ કરે છે. ભાષણ તમને આપશે. માથુ નમાવશે તમારી સામે પરંતુ કામ કરવાનો સમય આવશે ત્યારે કામ કોઈ બીજા માટે કરશે. નોટબંધી કરી પરંતુ બેંક સામે તમે ઊભા રહ્યા. તમારા પૈસા ક્યા ગયા, હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં ગયા.

    તેજસ્વી યાદવે કહ્યું કે કેટલાક લોકો જાતિના નામ પર, કેટલાક ધર્મના નામ પર લડાવશે પરંતુ બિહારના લોકો આ વખતે બેરોજગારી, કામના મુદ્દે લડશે. ખેડૂતો અને મજૂરોના મુદ્દે લડશે. 9 નવેમ્બરે લાલુજી છૂટશે, 9 નવેમ્બરે મારો જન્મદિવસ પણ છે. અને 10 નવેમ્બરે નીતિશજીની વિદાય છે. હવે જોવાનું એ રહ્યું કે બિહારની જનતા જીતનો કળશ   કોના માથે ઢોળશે.