વલસાડ: રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે રૂ. 1 કરોડ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પહેલા લોકો હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સહિતની બીમારીઓના મોટા ખર્ચાને પહોંચી વળતા ન હતા જેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શાસન ધુરા સંભાળી પ્રજાના આરોગ્યની દરકાર લઈ સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતમાં મા કાર્ડની સુવિધા શરૂ કરાવી હતી. રાજ્યમાં 40 થી વધુ મેડિકલ કોલેજ શરૂ કરાતા હવે ડોકટરોની ઘટ પુરાઈ રહી છે જેથી આરોગ્ય સેવા વધુ સુદૃઢ બની છે. આગામી વર્ષ 2047 સુધીમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન આપે એ મહત્વનું છે.
કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ પીએચસીના લોકાર્પણથી લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળતી થશે. લેટેસ્ટ ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ પીએચસી તૈયાર કરવામાં આવ્યું છે. હવે કોઈ પીએચસીમાં ડોકટરોની ઘટ નહિ વર્તાય તેવુ આયોજન કરાયું છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં રસ્તા, પાણી અને વીજળી સહિતના અનેક કામો થઈ રહ્યા છે જેથી પ્રજા સુખાકારીના માર્ગે આગળ વધી રહી છે.

