GANDHINAGAR : આગામી સોમવારથી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકો મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જે જ્ઞાન સહાયક શિક્ષકોની મુદત પૂર્ણ થતી હોય તેને લંબાવવામાં માટેની પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે. જેને પગલે શાળામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન નહીં સર્જાય તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે, શિક્ષક સંઘ દ્વારા આ અંગે જુદી જ હકીકત જણાવવામાં આવી રહી છે.

મુદત લંબાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી સોમવારથી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે. જેને પગલે શિક્ષકોની ઘટના સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકોને લઇને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયક શિક્ષકોની મુદત પૂર્ણ થતી હોય તો તેને લંબાવવાની પ્રક્રિયા હાથ ધરવા માટે જણાવાયું છે. આ પાછળનું કારણ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને હજી સમય લાગી શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે.

11 માસ માટે કરાર આધારિત ભરતી

રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શૈક્ષણિક સંગઠનોની રજુઆત અને માંગના આધારે આ નિર્ણય લીધો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે વર્ષ 2023 – 24 દરમિયાન જ્ઞાન સહાયક શિક્ષક યોજના અમલમાં મુકી હતી. જે અનુસાર દર વર્ષે 11 માસના આધારે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં ભરતી કરવાની છૂટ આપવામાં આવી હતી. જેને પગલે શાળાને રાહત મળે તેમ માનવામાં આવતું હતું.

પ્રવાસી શિક્ષકની યોજના વધારે વ્યાજબી 

બીજી તરફ આ મામલે ગુજરાજ રાજ્ય શાળા સંચાલક મંડળનું કહેવું છે કે, જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 100 શિક્ષકોમાંથી સામે માંડ 60 શિક્ષકો જ હાજર થાય છે. એટલે કે જ્ઞાન સહાયક શિક્ષકો ફરજ પર હાજર થતા નથી. કારણ કે તેમને લઘુત્તમ વેતનમાં પોતાના વતનથી દૂર રહીને કામ કરવું પોષાતું નથી. જેથી શિક્ષણ વિભાગે અગાઉ જે પ્રવાસી શિક્ષકની યોજના મૂકી હતી, તે વ્યાજબી હતી, જેમાં જે તે શાળા સંચાલકો પોતાની રીતે નજીકના શિક્ષકોને તેમાં રાખી શકતા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here