વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની ભેટ છે.
ગતરોજ વઢવાણા તળાવ સારા વરસાદને પગલે છલોછલ છલકાયું છે. આ સરોવરની સપાટી વધીને ૫૪.૮૩ મીટર થઈ છે. ડભોઇ અને સંખેડા તાલુકામાં વિસ્તરેલું આ તળાવ ખેતી માટે સિંચાઇનો સ્રોત છે અને તેના લીધે ડભોઇ તાલુકો ડાંગર ધાન્યનો ભંડાર બન્યો છે. આ જગ્યા નળ સરોવરના નાના ભાઈ જેવું અને ખ્યાતનામ પક્ષી તીર્થ છે. દૂર દેશાવરથી હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આ તળાવને શિયાળામાં પોતાનું બીજું ઘર બનાવે છે.
તાજેતરમાં આ તળાવને ઉમદા વેટલેન્ડ – પક્ષીઓને પ્રજનન અને બાળ ઉછેર ની સુવિધા આપતી કાદવિયા જમીનને અનુલક્ષીને રામસર સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી છે.મૂળ આ તળાવ સિંચાઇની સુવિધા માટેનું છે અને જળ સ્તર ઘટતા જે દલદલી જમીન સર્જાય છે એ યાયાવર પક્ષીઓ માટે તેમના હિમ પ્રદેશની ભારે ટાઢથી બચવા માટેનો હૂંફાળો વિસામો બની રહે છે.
આ તળાવમાં મુખ્યત્વે ઓરસંગ નદીનું વરસાદી પાણી વાળવામાં આવ્યું છે.હવે નર્મદા જળથી પણ સરોવરને જરૂર પડે ત્યારે ભરવામાં આવે છે. આમ, તળાવ કૃષિ અને પક્ષી સૃષ્ટિ,બંનેનું પોષક છે.એનું છલકાવું સારી ખેતીના સંકેત આપે છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)