હાલોલ: આજરોજ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક હાલોલ ગોધરામાં રાખવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે બેઠકમાં હાલોલ તાલુકા પ્રમુખ તરીકે યુવા લીડર વિશાલ જાદવની નિયુક્તિ કરવામાં આવી તેમજ હાલોલના મહિલા લીડર મુક્તિ જાદવને પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડાજીએ પાર્ટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં ૧૬૦૦ કાર્યકરો પાર્ટીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરી રહ્યા છે એમ કહી કાર્યકરોને તેઓની કામગીરીને બિરદાવી હતી. નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. આવનારી ૧૫ મી ઑગસ્ટના રોજ ‘આપની વાત, આપની સાથે” કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં દરેક તાલુકામાં એક સાથે પચાસ કેન્દ્ર પર કરવામાં આવશે એમ સમગ્ર જિલ્લામાં સાડા ત્રણસો ગામોમાં આમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આજની બેઠકમાં ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકાના પ્રમુખશ્રીઓ, ઝોનના પદાધિકારીઓ તથા જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

