કોર્ટ નિર્ણય: આપણા દેશમાં ધાર્મિક ગુરુઓ/ કોર્પોરેટ કથાકારોને વિશેષ છૂટ છે. તેઓ ઉપદેશો આપી લોકોને ગેરમાર્ગે દોરે છે. જૂના જમાનામાં ગુરુઓ/ કથાકારોનું મહત્વ હતું કેમકે ત્યારે આમ સમુદાય અશિક્ષિત હતો, હવે એવું નથી. છતાં ધર્મ ગુરુઓ અને કથાકારો લોકોની પીઠ પરથી નીચે ઊતરતા નથી. લોકોના તન/મન/ ધનનું શોષણ કરે છે.

હરિયાણાના હિસારના બરવાલામાં સતલોક આશ્રમ છે. તેના ધર્મગુરુ છે રામપાલ (ઉ.75). તેઓ હત્યાના કેસમાં 11 વર્ષથી જેલમાં હતા. પંજાબ હરિયાણા હાઈકોર્ટે 2025માં તેમની સજા સસ્પેન્ડ કરી, જામીન આપ્યા હતા. ભક્તો તેમને સંત રામપાલ જી મહારાજ માને છે. તેઓ હરિયાણા સરકારના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં જુનિયર એન્જિનિયર (JE) તરીકે કામ કરતા હતા. તેમને બે પુત્ર અને બે પુત્રીઓ છે.

રામપાલ પોતાને કબીર પંથના 13મા અનુયાયી/ગુરુ માને છે. તેઓ કબીર સાહેબને સર્વોચ્ચ પરમેશ્વર માને છે અને તમામ ધર્મગ્રંથો (વેદ, ગીતા, કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ વગેરે)માંથી પુરાવા આપીને કહે છે કે કબીર જ સાચા ઈશ્વર છે. મૂર્તિપૂજા, તીર્થયાત્રા, વ્રત-ઉપવાસ, મુહૂર્ત અસ્પૃશ્યતા, જાતિવાદ, દહેજ, વ્યભિચાર, અશ્લીલ ગાન-નૃત્યમાં માનતા નથી. હિંદુ-મુસ્લિમ-સિખ-ઈસાઈ બધા એક જ પરમાત્માના બાળક છે તેવું કહે છે. તેઓ વ્યસનમુક્તિ, સત્ય બોલવું, ભ્રષ્ટાચાર વિરુદ્ધ, સારી સંગતિમાં રહેવા પર ભાર મૂકે છે. સાચા ગુરુ વિના મોક્ષ મળી શકતો નથી. તેઓ પોતાને તે ગુરુ તરીકે રજૂ કરે છે.

કબીરની માણસાઈની વાત કરનાર રામપાલે કબીરના જ્ઞાનનો ઉપયોગ ધર્મગુરુ બનવા માટે કર્યો. કબીરની વાત કરનાર રામપાલને 2020થી 2014 સુધીમાં 42 વખત કોર્ટનું તેડું આવેલ પણ કોર્ટમાં હાજર થયા ન હતા. જેથી તેઓ કોર્ટના આદેશના અવમાન (Contempt of Court)ના કેસમાં ફસાયા હતા. 2025માં, આ Contempt કેસમાં રામપાલે માફી માગી હતી. ધર્મગુરુઓ આધ્યાત્મિક ઘઉં ખાતા હોવાથી પોતાને કોર્ટથી ઉપર માને છે!

રામપાલ સામે બે કેસ છે: [1] 2006માં, રોહતકમાં આર્યસમાજ સાથેની મૂઠભેડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેમાં તેઓ આરોપી હતા, પરંતુ જામીન મળ્યા હતા. પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર થતાં ન હતા. [2] 2006ના કેસમાં, 42 સમન મળવા છતાં કોર્ટ સમક્ષ હાજર ન થતા હાઈકોર્ટે નવેમ્બર 2014માં, નોન-બેલેબલ વોરન્ટ (NBW) જારી કર્યું. તેમને અટક કરવા પોલીસ તેમના આશ્રમે ગઈ ત્યારે સંઘર્ષ થયો. ભક્તોએ પોલીસને અંદર આવવા ન દીધી, માનવ ઢાલ બનાવી, પેટ્રોલ બોમ્બ અને એસિડથી પોલીસ પર હુમલો કર્યો. પોલીસે ટિયર ગેસ અને લાઠીચાર્જ કર્યો. આ દરમિયાન પાંચ મહિલાઓ અને એક દોઢ વર્ષના બાળકનું મૃત્યુ થયું. કુલ 6 મોત થયાં. કોઈને બુલેટની ઇજાઓ નહોતી; મોટા ભાગે દમ ઘુટવા, તબીયતની સમસ્યા અથવા તબીબી સહાય ન મળવાથી મૃત્યુ થયા હતા. આ કેસમાં રામપાલ પર હત્યા (IPC 302), બંધક બનાવવું (343), કાવતરું (120B), દેશદ્રોહ (સેડિશન), UAPA, રાયોટિંગ અને અન્ય આરોપો લગાવવામાં આવ્યા. આ કેસમાં (FIR 429 અને 430) રામપાલને હિસાર કોર્ટે 2018માં, આજીવન કેદની સજા કરી હતી જે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ઓગસ્ટ 2025માં સસ્પેન્ડ કરી હતી.

8 એપ્રિલ 2026ના રોજ, હાઈકોર્ટે દેશદ્રોહ-Sedition/ હિંસાના કેસમાં રામપાલને જામીન આપ્યા છે. ભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. જ્યાં સુધી અંધભક્તો મળી રહે ત્યાં સુધી પાખંડીઓ પાછા પડવાના નથી !

BY: રમેશ સવાણી [12 એપ્રિલ 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here