રાજકોટ: સુરેશ વડૈચાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા સામે ગંભીર આરોપ મૂક્યો છે. કે “DCP બાંગરવાએ એક બિલ્ડરની ફરિયાદના આધારે મને પોલીસ સ્ટેશન/ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને મારા કપડાં કાઢાવી નાખ્યા. તેમણે મને પટ્ટાથી બહુ માર માર્યો, મારા પગે ફેક્ચર કરી નાખ્યું, મારી ગુદામાં પેટ્રોલ નાખ્યું!”

સુરેશ વડૈચા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તે પત્રકાર તરીકે કામ કરે છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હોસ્પિટલમાં સુરેશની મુલાકાત લીધી તેનો વીડિયો જિગ્નેશ મેવાણીએ ‘X’ પર મૂક્યો છે. (કોમેન્ટમાં મૂક્યો છે)

જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને 27 માર્ચ 2026ના રોજ પત્ર લખી DCP જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી, ધરપકડ કરી, નોકરીમાંથી ડિસમિસ કરવાની માંગણી કરી છે. પેટ્રોલ નાખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે!

થોડા મુદ્દાઓ:
[1] શું સુરેશે કોઈ આતંકી કૃત્ય કર્યું હતું? બળાત્કાર કર્યો હતો? હત્યા કરી હતી? કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી? તેની સામે ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ થયેલ? ના, સુરેશ સામે CrPC કલમ-151 હેઠળ સારી ચાલચલગત માટે બાંહેધરી ધરી લેવાનો ચેપ્ટર કેસ હતો, જેમાં સુરેશ માત્ર સામાવાળા તરીકે હતો, આરોપી ન હતો.

[2] સુરેશ પર થયેલ અત્યાચાર સાચા માનીએ તો સુરેશ કોઈ ગંભીર ગુનાનો આરોપી ન હતો, છતાં પોલીસે શા માટે મર્યાદા બહાર જઈને, સુરેશ પર અત્યાચાર કર્યો? ગંભીર ગુનો કર્યો હોય તો પણ પોલીસ આવી બર્બરતા કરી શકે નહી. સજા કરવાનું કામ પોલીસનું નથી, કોર્ટનું છે. કોર્ટ વધુમાં વધુ ફાંસીની સજા કરી શકે. પેટ્રોલ નાખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે!

[3] પોલીસ આવો અત્યાચાર આર્થિક/ સામાજિક/ રાજકીય/ ધાર્મિક આરોપી સામે ક્યારેય કરતી નથી. ગરીબ/ લાચાર/ નબળા વર્ગના લોકો સાથે જ આવું અમાનવીય અને ઘૃણાસ્પદ વર્તન કરે છે, કેમ? સુરેશ કોળી સમુદાયનો છે.

[4] જિગ્નેશ મેવાણીએ, આ ઘટના અંગે તાત્કાલિક તપાસ કરવા રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવને વિનંતી કરી છે. 30 વરસ પહેલાં રાવ રાજકોટમાં DCP હતા ત્યારે તેમણે બર્બરતા આચરી હતી. 1996-97માં રાવે નાના ગુનાના 7 આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની આંખોમાં ‘ટાઈગર બામ’ (Tiger Balm, માથાના દુખાવા માટે વપરાતો મલમ) આંઝી દીધું હતું, જેથી સાતેય આરોપીઓની દષ્ટિ જતી રહી હતી!ફોરેન્સિક ટેસ્ટિંગમાં પણ ટાઈગર બામનો ઉપયોગ સાબિત થયો હતો. આ બાબતે રાષ્ટ્રીય સ્તરે ઊહાપોહ થયો હતો. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) અને સંસદમાં પણ તેની ચર્ચા થઈ હતી. એ સમયે 9 કોન્સ્ટેબલ્સને સસ્પેન્ડ કરેલ પણ પાછળથી તેમને ફરજ પર લઈ લીધા હતા. દ્રષ્ટિ ગૂમાવનારને કોઈ વળતર હજુ સુધી અપાયું નથી. શું પોલીસ વડા રાવ DCP જગદીશ બાંગરવા સામે તપાસ કરાવશે, એવી આશા રાખી શકાય? ‘આવ ભાઈ હરખા, આપણે બેઉં સરખા’ અને ‘કાથરોટ કૂંડાને હસે’ જેવી ગુજરાત પોલીસની સ્થિતિ છે.

[5] આવી બર્બરતા બ્રિટિશ શાસનકાળ દરમિયાન પણ દેશમાં નહોતી. જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી છે/ પોલીસ કમિશનરની જવાબદારી છે કે તેમના તાબાના કોઈ પોલીસ અધિકારી બર્બરતા દાખવે તો તેની તાત્કાલિક તપાસ કરવી/ મેડિકલ એવિડન્સ એકત્ર કરાવવા. પરંતુ આ કિસ્સામાં એવું બન્યું નથી. સુરેશના આરોપ અંગે પોલીસ તરફથી સ્પષ્ટતા થઈ નથી.

[6] પોલીસ અત્યારની અનેક ઘટનાઓ છતાં સરકાર તે અંગે પગલાં લેતી નાથી. ગુજરાત પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી, ગાંધીનગર ખાતે છે પરંતુ તે માત્ર દેખાડા પૂરતી છે. ફરિયાદો પુષ્કળ છે, વસ્તીના ભારણને કારણે માનવ અધિકારો અર્થહીન બની ગયા છે. ભીડભાડવાળી અદાલતો ન્યાય આપતી નથી, ન્યાય મેળવવો ખૂબ ખર્ચાળ છે. સમય અને નાણા પુષ્કળ હોય તો જ ન્યાય મળે છે. ગરીબો/ લાચારીને ન્યાય મળતો નથી. સત્તાપક્ષનો OBC મોરચો પણ ચૂપ છે! OBC નેતાઓ ચુંટણી સભાઓમાં ગરીબોની વાત કરે ત્યારે સમજવું કે તે હળાહળ જૂઠું બોલે છે !

BY: રમેશ સવાણી [27 માર્ચ 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here