તાપી: તાપીના આદિવાસી સમાજના પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીતની અનોખી સેવાને રાજ્ય સ્તરે મોટી ઓળખ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમને શુભેચ્છા પત્ર પાઠવવામાં આવતા તેમની કામગીરીને સન્માન મળ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પત્રમાં લખ્યું છે કે પર્યાવરણ સંકટના સમયમાં વિજેશભાઈ જેવા કર્મયોગીઓ શાંતિ, સમર્પણ અને નિષ્ઠાથી જે કાર્ય કરી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. દુર્ગમ અને જંગલ વિસ્તારોમાં ‘જીવન’ પહોંચાડવાની અનોખી પહેલ કરી છે. તેઓ વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન માટે વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ અપનાવી કાર્ય કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી સૂકાં અને બાંજરા વિસ્તારોમાં હરિયાળી ફરી આવી રહી છે અને સ્થાનિક લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે.
વિજેશભાઈ ગામીતે અત્યાર સુધીમાં મેં લગભગ 90,000 સીડ બોલ તૈયાર કરીને વેરાન રોકાણોથી લઈને ડાંગના ઉત્તર-દક્ષિણ રેન્જ અને તાપીના સોનગઢ, સાદડવેલ, પદમડુંગરી અને ઉકાઈ જેવા ગીચ વન વિસ્તારોમાં ફેંક્યા છે. તેમની કામગીરી માત્ર વૃક્ષો વાવવાની મર્યાદામાં નથી, પરંતુ પર્યાવરણના સંતુલનને જાળવવા અને આગામી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત કુદરત તૈયાર કરવાનો એક વિશાળ અભિયાન બની ગઈ છે. વિજેશભાઈનો આ સંદેશ સ્પષ્ટ છે “પ્રકૃતિને બચાવો, તે જ આપણું ભવિષ્ય બચાવશે.”











