વાંસદા: વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય ‘આદિવાસી મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વલસાડના સાંસદ ધવલ પટેલે આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ 14 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 9:00 વાગ્યે વાંસદાના હનુમાનબારી વિસ્તારથી એક વિશાળ રેલીનું પ્રસ્થાન થશે. આ રેલી વાંસદાના ગાંધી મેદાન ખાતે સમાપ્ત થશે, જ્યાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ મહાસંમેલન માત્ર એક રાજકીય મેળાવડો નહીં, પરંતુ આદિવાસી પરંપરાનું પ્રદર્શન પણ બની રહેશે. જેમાં આદિવાસી સમાજની વિશિષ્ટ પરંપરાગત વાનગીઓ, પહેરવેશ અને લોકનૃત્ય દ્વારા સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

ગાંધી મેદાન ખાતે યોજાનારા આ મુખ્ય કાર્યક્રમમાં આદિવાસી સમાજ માટે વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. જેમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદ પટેલનો સમાવેશ થાય છે. વલસાડ-ડાંગ સંસદીય વિસ્તારના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલનનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજની એકતા અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી ભાઈ-બહેનોને આ ઐતિહાસિક સંમેલન અને રેલીમાં જોડાવા વિનંતી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here