વલસાડ: વલસાડ જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો હોવા છતાં આજદિન સુધી આદિવાસી સંસ્કૃતિ કે મહામાનવોની નોંધપાત્ર રીતે નોંધ લેવામાં આવી નહીં હતી આથી વર્ષોથી આદિવાસી સમાજના લોકોમાં બિરસા મુંડાજીની સ્થાપના વલસાડમાં થાય એવી લાગણી અનુભવી રહ્યા હતાં. હાલમાં દેશના મહામાનવ અને ક્રાંતિસૂર્ય બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતિ નિમિતે વલસાડ આદિવાસી સમાજના યુવાનો વડીલો દ્વારા વલસાડની ધરમપુર ચોકડી પર બિરસા મુંડાજીની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ મૂર્તિની સ્થાપનામાં વલસાડના જાણીતાં વકીલ કેયુર પટેલ, સુમનભાઈ કેદારીયા, ઉદ્યોગપતિ ચંપકભાઈ વાડવા, મયુરભાઈ, અનિલભાઈ, ધર્મેશભાઈ, નરેન્દ્રભાઇ, શૈલેષભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, પરેશભાઈ, ધીરુભાઈ, જયશ્રીબેન, ભરતભાઈ, વસંતભાઈ સહિતના આદિવાસી સમાજના નાના મોટા તમામ કાર્યકરોએ સિંહફાળો આપ્યો હતો અને આદિવાસી-બિનઆદિવાસી સમાજના લોકોએ દિલથી લોકફાળો આપ્યો હતો.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી પ્રબળ લોકલાગણીઓ હતી કે વલસાડમાં બિરસા મુંડાજીની પ્રતિમા હોવી જોઈએ જેથી કરીને આઝાદીના ઇતિહાસમાં અદ્વિતીય યોગદાન આપનાર મહાન ક્રાંતિકારી અને માત્ર 25 વર્ષની ઉંમરે જ પોતાની જિંદગીનું બલિદાન આપનાર યોદ્ધા બિરસા મુંડાજી તેમજ તંત્યા મામાં ભીલ,ગુરુ ગોવિંદજી, જયપાલસિંહ મુંડાજી, રાણા પુંજાજી ભીલ,રાણા વીર વેગડા ભીલ, ઝલકારી બાઈ, રાધોજી ભાંગરે, વીરબાલા કાલીબાઈ જેવા અનેક યોદ્ધાઓને આખો દેશ યાદ કરે તે દિશામાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગળના સમયમાં આ ચળવળમાં યુવાનોને સાથે લઈને આગળ વધીશુ. વલસાડ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની આ સુંદર પહેલ બદલ યુવાલિડર ડો.નિરવ પટેલે વલસાડના આદિવાસી સમાજના આગેવાનોના ઐતિહાસિક પગલાં માટે શુભકામના પાઠવી હતી.











