અંકલેશ્વર: અંકલેશ્વર હાઇવે પર ટ્રાફિક નિયમન કરતાં પોલીસકર્મીનું વાહનની ટક્કરે મોત નીપજયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.
જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટના અંકલેશ્વરના પાનોલી નજીક બની હતી. મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું. જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
જે જીવલેણ સાબિત થઈ.ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પીઆઇ એસ.એમ. દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજની મદદથી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.











