સુરત: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાના ફુડ વિભાગની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરસાણું વેચાણ કરતી દુકાનોમાં ચકાસણી કરી અને ફાફડા જલેબીના સેમ્પલ લીધા છે અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ભારે ડિમાન્ડ હોવાથી ફરસાણ વેચાણ કરનારા વેપારીઓની દુકાને લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીના વેચાણમાં તેજી હોવાથી ફરસાણ બનાવનારા સાથે-સાથે ફાફડા જલેબીનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં ફાફડા જલેબીનો ઓર્ડર હોવાથી દશેરાના આગલા દિવસથી જ વેપારીઓ ફાફડા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે.

