સુરત: સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહીર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. પ્રશાંત અપરણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિકરૂપે મદદરૂપ થઈ રહ્યો હતો.

ઘટના-1: .Decision news  ને મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે પ્રશાંત તેના માતા-પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત ચાર રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લક્કી નામની એક લક્ઝરી બસે (AR 11 A 8822) પ્રશાંતને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી મળી હતી.માથા પર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘટના-2: કામરેજ ચાર રસ્તા પાસે પવન ટ્રાવેલ્સની બસે બાઇકને ટક્કર મારતાં એક યુવતીનું મોત નીપજ્યું હતું. જુનાગઢ જવા માટે નીકળેલી અંજલી નામની યુવતી તેના થનાર દિયર હિરેનભાઈ લોઢીયાની બાઇક પર સવાર હતી. પવન ટ્રાવેલ્સની બસ (GJ-14-X-1900) પાસોદરા પાટીયાથી નીકળ્યા બાદ કામરેજ પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી. કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતા સૃષ્ટી કોમ્પલેક્ષની સામેના સર્વિસ રોડ પર બસે પૂરઝડપે અને બેદરકારીથી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી અંજલી રોડ પર પટકાઈ હતી. તેનું માથું બસના પાછળના વ્હીલમાં આવી જતાં ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ 108ને જાણ કરી હતી. જ્યારે એમ્બ્યુલન્સના ડૉક્ટરે ઘટનાસ્થળે જ અંજલીને મૃત જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here