નર્મદા: ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી દિવ્ય આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરી. સ્વભાવે શાંત અને વિચારશીલ, રૂપાણીજીની સંગઠન પ્રત્યેની વફાદારી અને શિસ્ત અદ્ભુત હતી. પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવાનું હોય કે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાને ગતિશીલ રાખવાનું હોય, વિજયભાઈએ દરેક જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે.
મનસુખ વસાવાએ કહ્યું કે વિજયભાઈ રૂપાણી દ્વારા આદિવાસીઓનાં હિત માટે PESA એક્ટ ટ્રાઈબલ વિસ્તારમાં લાગુ કરવામાં આવી હતી જેથી ત્યાંના લોકો પોતાના જળ, જંગલ અને જમીન સંબંધિત નિર્ણયો જાતે લઈ શકે જે ખરેખર આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા. સાથે જ તેમણે આદિવાસીઓનાં ખોટા જાતિના દાખલા રદ્ કરવા વિધાનસભામાં બિલ લાવી ને કાયદો બનાવી સાચા આદિવાસીઓને ન્યાય અપાવ્યો. ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતાં 2000 થી વધુ ખેડૂતોની જમીનની સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે ખાતા વાહીમાં એન્ટ્રી હોવાથી આદિવાસી સમાજમાં ભારે રોષ હતો જેની રજૂઆત અમોએ વિજયભાઈને કરતા આ સમસ્યાનું સમાધાન તાત્કાલિક લાવી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ એન્ટ્રીને માંગણી મુજબ કરી આપતા ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો.
મારી સૌને નમ્ર અપીલ છે કે આદિવાસી સમાજના હિતેચ્છુ એવા દિવંગત સ્વ. વિજયભાઈ રૂપાણીના નામે તમામ આદિવાસીઓએ એક એક વૃક્ષ વાવી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

