વલસાડ: વલસાડમાં કમોસમી વરસાદ અને ચોમાસાના કારણે હવામાન બદલાતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે. તાવના કેસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દી સામે આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ તપાસ કરાવતાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુના 15 અને મેલેરિયાના 3 દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 103 જેટલા સ્થળો ખુલ્લા પાણીમાં મચ્છર ઉપદ્રવની ભીતિ સામે આવતાં સફાઇ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ કરાવતાં મચ્છરોના કારણે તાવના કેસોમાં નિદાનમાં ડેન્ગ્યુના 15 કેસો સામે આવ્યા હતા.આ ઉપરાંત મેલેરિયાના પણ 3 કેસ નોંધાયા હતા.જેના કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થઇ જઇ પ્રકારાત્મક પગલાં ભરવા માટે આરોગ્ય વિભાગે વિવિધ બાંઘકામના સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ થતો રોકવા માટે 103 જેટલાં બાંધકામના સ્થળોને નોટિસો ફટકારવામાં આવતાં ફફડાટ ફેલાયો છે.
પરિસ્થિતિને ઉગતી જ ડામી દેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે દર્દીઓને ચેક કરવા 5 તાલુકામાં કર્મીઓની અલગ અલગ 800 ટીમ બનાવી છે. જે તમામ તાલુકાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યુને રોકવા માટે આરોગ્ય વિભાગની સૂચના મુજબ કામે લગાડાઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ અને સોસાયટીઓમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે.

