સુરત: સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતાં રત્નકલાકારને કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.
Decision news ને મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગીચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફોરવ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કારચાલક તેને પહેલા અડફેટે લે છે. ત્યાર બાદ 20 ફૂટ જેટલો તેને ઢસડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કારચાલક ફરાર થઈ જાય છે.

