નવસારી: નવસારીના વાંસદા તાલુકામાં આવેલાં વાઘાબારી ગામમાં નજીવી બાબતે હત્યાની ઘટના બની છે. ધીરુ પટેલ નામના યુવકને પેટમાં દુઃખાવો ઉપડતા ઈલાજ માટે ગામમાં રહેતા ભગત ઝીણા પટેલને પોતાની સમસ્યા વર્ણવી હતી. જે બાદ ભગતે ગામ પાસે આવેલા ગીતામણી નદી પાસે જઈ વિધિ કરવાનું કહ્યું હતું જ્યાં વિધિ દરમિયાન ભગતે પીઠ પર ધબ્બો મારતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પથ્થર મારી ભગતને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને પાંચ કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડયો હતો.
પેટમાં દુઃખાવો મટાડવા વિધિ કરાવી
સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ તો વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં ધીરુ પટેલ મંજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેટલાક દિવસોથી તેને પેટમાં દુઃખાવો ઉપડયો હતો, જેનો ઈલાજ કરવા છતાં દુઃખાવો મટતો ન હતો. જેથી તેમણે ગામમાં જ રહેતા ભગત ઝીણા પટેલ કે જે વિધિ કરીને આવા પ્રકારના દુઃખાવો મટાડતા હતા, તેમને પોતાની સમસ્યા જણાવી હતી. જેથી ભગતે કહ્યું કે, ગીતામણી નદી પાસે જઈ વિધિ કરાવવી પડશે, જેને પગલે યુવાન ધીરૂભાઇએ આ વિધિ માટે સંમત થયો હતો.
ભગતે વિધિનો ભાગ હોવાનું કહી યુવકને ધબ્બો માર્યો
ભગત અને યુવક ધીરુ પટેલ બને રાત્રીના સમયે નદી પાસે જઈને પેટમાં દુઃખાવો મટાડવાની વિધિ શરૂ કરી હતી, જે દરમ્યાન ભગત ઝીણાભાઈએ ધીરુભાઈને ખભા અને પીઠ ઉપર જોરથી ધબ્બો માર્યો હતો. જેથી ધીરુભાઈ અકળાઈ ગયા હતા અને કહ્યું કે, એક તો મને પેટમાં દુઃખે છે અને ઉપરથી ધબ્બો કેમ મારો છો? જેથી ઝીણાભાઈએ કહ્યું કે, આ વિધિનો એક ભાગ છે અને ધબ્બો તો મારવો જ પડે. જે મામલે બને વચ્ચે માથાકૂટ થઇ હતી. જે બાદ મારામારી થતાં આરોપી ધીરુભાઈએ ભગત ઝીનાભાઈના માથામાં પથ્થર મારી દિધો હતો. જેથી ભગતનું મોત થતાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો.
પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપીને ઝડપ્યો
વહેલી સવારે 8:00 વાગે ઝીણાભાઈની લાશ ગ્રામજનોએ જોતાં વાંસદા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં હત્યાની દિશામાં તપાસ કરતા નવસારી LCB મદદ લીધી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારનું નેટવર્ક એક્ટિવ કરી આરોપી ધીરુ પટેલ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે. આરોપીની પૂછપરછ કરતાં તે ભાગી પડયો હતો અને સમગ્ર ઘટના વર્ણવી હતી.
DYSP એ શું કહ્યું ?
સમગ્ર મામલે ચીખલી DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, આરોપીને પેટમાં દુઃખાવો હતો, તે મામલે તેણે ભગતને જાણ કરી હતી. જેથી બંને નદી કિનારે ગયા હતા. અને વિધિ દરમિયાન બને વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. જેમાં આરોપીએ પથ્થર વડે ભગતને મોતને ઘાટ ઉતાર્યો હતો. કેસ મામલે LCB અને વાંસદા પોલીસની સંયુકત ટીમે તપાસ કરતા આરોપીની શોધખોળ કરી તે મળી આવ્યો હતો. તેણે પૂછતાછમાં હત્યા કરી હોવાનું કબૂલાત કરતાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

