ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. જૈન સાધ્વી મધુ સુધાજી મહારાજની વ્હીલચેરને ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં વ્હીલચેર ધક્કો મારનાર સેવિકા ગજરાબેન મેઘવાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
Decision news ને મળતી માહિતી પ્રમાણે ઘટના સમયે જૈન સાધ્વી અને તેમની સેવિકા રોડ ક્રોસ કરી રહ્યા હતા.વરેડિયા સુંદર વિહાર ધામથી અસુરીયા ગામના જૈન વિહાર ધામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પોએ તેમને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં ઘાયલ થયેલા સાધ્વી મહારાજને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક સેવિકા ગજરાબેન રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંકશન માલી મોલા વિસ્તારના રહેવાસી હતા.

