વલસાડ:વલસાડ જિલ્લાના પારડી નિવાસી અને આલોક કંપનીના હેલ્પર સંદીપ વલ્લભભાઈ પટેલ (45)નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું . શુક્રવારે રાત્રે 9:45 વાગ્યે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

સંદીપભાઈ પોતાના વતન ખેરગામથી બાઇક (GJ-21-DC-4980) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતી વખતે સુરતથી વાપી તરફ જતા માર્ગ પર કોઈ અજાણ્યા વાહને તેમની હિરો સ્પ્લેન્ડર મોટરસાઇકલને ટક્કર મારી હતી.

અકસ્માતમાં સંદીપભાઈને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કરનાર વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ અને વલસાડ સીટી પોલીસને જાણ કરી હતી. સંદીપભાઈના પુત્ર ચેન્સ પટેલે જણાવ્યું કે, મોડી રાત સુધી પિતા ન આવતા ફોન કર્યો હતો. સંદીપભાઈએ મૂળી ગામ સુધી પહોંચ્યા હોવાનું અને ઘરે આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિક લોકોએ હાઈવે પર વધતી દુર્ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાહન વ્યવહાર માટે કડક નિયંત્રણોની માંગ કરી છે. ચેન્સ પટેલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here