સુરત: વિશ્વ પર્યાવરણ દિવસ-2025ની ઉજવણી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ,રિડયુસ,રિપેર,રિસાયકલ અને રિયુઝના સિધ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 225થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની 29 સ્થળોએ કુલ 38 કિલોમીટરના રોડ બનાવાયા છે. છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે.સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુન: ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા PPP ધોરણે જૂલાઈ 2017થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત કુલ 8 રિફ્યુસ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ 200 ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત 1.5 લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે.

પ્લાસ્ટિક રિસાયકલ શું છે?: પ્લાસ્ટિક રિસાયકલ એ એવી પ્રક્રિયા છે. જેમાં વપરાયેલા અથવા ફેંકી દીધેલા પ્લાસ્ટિકને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે છે. રિસાયકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે થાય છે, જેમ કે, પ્લાસ્ટિક બોટલ, પાઈપ, ફર્નિચર, રોડ.

પ્લાસ્ટિક કેમ નાશ પામતું નથી?: પ્લાસ્ટિક માનવ નિર્મિત પદાર્થ છે, જે પેટ્રોલિયમ આધારિત રાસાયણિક પદાર્થોથી બનેલું હોય છે. તેમાં બહુ મજબૂત અણુબંધ (chemical bonds) હોય છે, જે કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતા નથી. સામાન્ય રીતે પ્લાસ્ટિકના વિઘટન માટે 400થી 1000 વર્ષ જેટલો સમય લાગી શકે છે.

ડેપ્યુટી આરોગ્ય કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક રીયુઝ માટે પ્રયાસ કરી રહી છે. પર્યાવરણને જોખમ હોય તેવી તમામ બાબતો ઉપર સુરત મહાનગરપાલિકા ખૂબ જ ઝડપથી નિર્ણય લઈને કામ કરી રહી છે. વધુમાં વધુ પ્લાસ્ટિકનો રીયુઝ કરીને રોડ બનાવવામાં આવી રહ્યા છે. 29 સ્થળ ઉપર 38 KMના રોડ સુરત શહેરમાં બનાવવામાં આવ્યા છે. સુમુલ ડેરી સાથે મળીને રોજની પ્લાસ્ટિકની થેલીઓને રીયુઝ કરવા માટે કામ થઈ રહ્યું છે.

ડુમસ બીચ ઉપર પાંચ હજાર જેટલી પ્લાસ્ટિકની બોટલનો રીયુઝ કરીને મોન્સ્ટર બનાવવામાં આવ્યો છે જે પ્રતિકાત્મક છે. મોન્સ્ટર દર્શાવે છે કે, આ પ્લાસ્ટિક કેટલું ભયાવહ છે. 6 જૂનથી 30 ઓક્ટોબર સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકને ખતમ કરવા માટે આપણે ઝુંબેશ શરૂ કરી રહ્યા છે. જેનો વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ આપણે વિચારી રહ્યા છે. લોકોને વધુમાં વધુ કાપડની બેગ મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા માય થેલી નામથી એક ઇવેન્ટ કરવા જઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here