નવસારી: ગરીબ ગ્રામવાસીઓના હક્કના કરોડો રૂપિયા ખાઈ જનાર મનરેગા યોજનાના કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદ ભ્રષ્ટ કરવા બાબતે તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સધન તપાસ કરવા બાબતે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
નવસારી AAP ના પ્રમુખ પંકજ પટેલ જણાવે છે કે મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસનાં વિવિધ કામો ગામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેક-ડેમ બનાવવા, રોડ-રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવાં વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ 86000 કરોડ રૂપિયાનું છે. ખોટા બીલો રજુ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કરેલ છે, આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠેલ છે.
વધુમાં કહ્યું કે વળી, જો ત્રણ ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ થઇ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે ? ગુજરાતના ઈમાનદાર કરદાતાઓ-નાગરિકો વતી મારી માંગણી છે કે, આ કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે.

