બીલીમોરા: આજરોજ બીલીમોરા-ગણદેવી-ચીખલી આયોજિત અને જય અંબે સ્કૂલ-ચીખલીના સહયોગથી આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ સોમનાથ પ્રાથમિક શાળા બીલીમોરામાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આદિવાસી સમાજના ઉદ્યોગપતિ શ્રી ચંપકભાઈ એમ પટેલ (વાપી ) તથા જય અંબે સ્કૂલ ચીખલીના આચાર્યશ્રી પ્રિયંક ભાઈ તથા બીલીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચંપકભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. આચાર્ય પ્રિયંકભાઈ એ ગરીબ વિદ્યાર્થીઓ માટેની શાળામાં ચાલતી યોજનાઓ વિશે માહિતી આપી હતી. મનીષભાઇએ સમાજ ટ્રસ્ટને તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને જે કોઈ મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આદિવાસી સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલે મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ઉપ પ્રમુખશ્રી યોગેશ પટેલે આદિવાસી સમાજ ટ્રસ્ટની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મંત્રીશ્રી અરુણભાઈ પટેલ તેમજ તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

