ગુજરાત: ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો છે. ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની IFS અધિકારી સુસન્તા નંદાએ એકસ પર પોસ્ટ કરી માહિતી શેર કરી હતી.આ ઉપરાંત ગુજરાતમાં સિંહની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ગુજરાત હવે એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં સિંહ, વાઘ અને દીપડો ત્રણેય હિંસક જંગલી પ્રાણીઓ ધરાવે છે.
ગુજરાતમાં તાજેતરમાં સિંહોની વસતી ગણતરી પુર્ણ થઈ ચુકી છે. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે. આ વખતે ગુજરાતમાં 891 સિંહો હોવાનું નોંધાયુ છે. આ સમાચાર વચ્ચે વન્ય જીવો માટે ગુજરાત એક ડ્રીમ ડેસ્ટિનેશન બની ચુક્યું છે. ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘની હાજરી નોંધાઇ છે. દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ કરી છે.
પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યુ કે, 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. આ પ્રાણીના પરત ફરવાથી ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય બન્યું છે. જ્યાં ત્રણેય મોટી ખુંખાર બિલાડીઓ – વાઘ, સિંહ અને દીપડો છે. વન્ય જીવોની જો વાત કરીએ તો સિંહ, વાઘ અને દીપડોએ બિલાડીના કૂળના પ્રાણી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અનુસાર ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે 1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. આજ દિન સુધી ગુજરાતમાં એકપણ વાઘ હતો નહીં. ત્યારે આજે ફરી દાહોદ જિલ્લામાં વાઘનું ન માત્ર પગેરુ મળ્યુ છે પરંતુ વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે.

