વલસાડ: પલસાણા ગામે રહેતી યુવતીનું મોત થયા બાદ માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધાને લઈ તાંત્રિક વિધી કરાવની વેળા ડામ આપતા દાઝી જતા મોત થયાની ચર્ચા ઊઠી છે. અંતિમ વિધી સમયે મૃતકના શરીર પર 8થી વધુ ડામ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે પૂછપરાક આદરી છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા ફોરેન્સિંક લેબમાં મોકલી દીધા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર પલસાણા ગામે રહેતા અર્જુન હળપતિની 22 વર્ષીય પુત્રી દિવ્યા થોડા દિવસ પહેલા દાઝી જતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ સારવાર દરમિયાન પુત્રીને ખેંચ આવતા મૃત્યુ થયા અંગે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધી દરમિયાન મૃતકના શરીર પર 8થી વધુ ડામના નિશાન મળી ખાવતા ડાઘુઓ પણ ચોકી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થતા દિવ્યાના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે કોઝ ઓફ ડેથ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વીડિયો વાઈરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ આદરી હતી. ગામના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મૃતકને માતા આવતા હોવાની અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે તાંત્રિક વિધી કરાવતી વેળા ડામ આપતા મોત થયું હતું.