ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામ નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક ટ્રક નીચે દબાઇ ગયો હતો. આ ઘટનામાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ જંબુસર તાલુકાના દેવકુઇ ગામનો ગામનો રહીશ પ્રભાતભાઇ સોમાભાઇ ઠાકોર નામનો ૪૫ વર્ષીય ઇસમ પત્ની અને બાળકો સાથે છેલ્લા દસેક વર્ષોથી તેની સાસરીના ગામ અંધારકાછલા તા.ઝઘડિયા ખાતે રહેતો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર પ્રભાતભાઇ ઝઘડિયા સ્થિત એક ટ્રાન્સપોર્ટમાં હાઇવા ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પ્રભાતભાઇ ગતરોજ તા.૬ ના રોજ સવારના છ વાગ્યે ઝઘડિયા ખાતે નોકરીએ ગયો હતો.ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેણે પત્નીને ફોન કરીને જણાવેલ કે તે ઝઘડિયાથી ટ્રક લઇને ઘરે આવે છે. ત્યારબાદ તેની ટ્રક ઝઘડિયાથી અંધારકાછલા જવાના માર્ગ નજીક પલટી મારી જતા પ્રભાતભાઇ નીચે દબાઇ ગયો હતો.

આ ઘટનામાં પ્રભાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે જખ્મી થયેલ પ્રભાતનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે મૃતક પ્રભાતભાઇની પત્ની જશોદાબેન ઠાકોરે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.