ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલ ત્રણ પૈકી બે આરોપીઓ અન્ય જિલ્લાઓના ચોરીના ગુનાઓ હેઠળ નાસતા ફરતા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ તથા પીએસઆઇ ડી.એ.તુવરની ટીમને બાતમી મળેલ કે રાજપારડી પોલીસ મથકમાં નંધાયેલ અવિધા ગામે થયેલ ચોરી તથા ઝઘડિયા નગરમાં થયેલ ચોરીમાં ભરૂચનો અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર તથા તેના મિત્ર શેરાસીંગ મોતીસીંગ સિકલીગર અને લખનસીંગ કિરપાલસીંગ સિકલીગર સંડોવાયેલ છે, અને ત્રણેય નંબર પ્લેટ વગરની ફોર વ્હિલ ગાડી લઇને સુરતથી નીકળીને અંક્લેશ્વર જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇને ભરૂચ તરફ જનાર છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે અંક્લેશ્વર નજીક રેલ્વે લાઇન ફાટક પાસેથી ઉપરોક્ત ફોર વ્હિલ ગાડી સાથે ત્રણેય ઇસમોને ઝડપી લીધા હતા અને તેઓને અંક્લેશ્વર એલસીબી ઓફીસ ખાતે લાવીને પુછપરછ કરતા ત્રણેય આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ત્રણ પૈકી અર્જુનસીંગે જણાવેલ કે આજથી આશરે વીસેક દિવસ પહેલા લખનસીંગ તથા તેના બનેવી શેરાસીંગ ફોર વ્હિલ ગાડી લઇને તેના ઘરે આવેલ અને મોડી રાત્રે તેઓ ત્રણેયે સાથે મળીને ફોર વ્હિલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાંખીને અવિધા ગામે જઇને એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાંથી સોનાચાંદીના દાગીનાની ચોરી કરેલ, ત્યારબાદ ફરીથી સાંજે તેઓ ગાડીની નંબર પ્લેટ કાઢી નાંખીને ઝઘડિયા તરફ ગયેલ અને ઝઘડિયા નગરમાં એક મકાનના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં જઇને કબાટમાંથી સોનાચાંદીના દાગીનાની ચોરી કરી હતી, અને ચોરીના દાગીના વેચીને જે પૈસા મળેલ તેના ત્રણ સરખા ભાગ પાડી લીધેલ હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત આરોપી લખનસીંગ તથા શેરાસીંગ વડોદરા તથા ગોધરાના કુલ 10 જેટલા ચોરીના ગુનામાં નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ.એલસીબીની ટીમે તેમની પાસેથી મોબાઇલ નંગ-03 કિંમત રૂપિયા 30,000 ચોરીના સોનાચાંદીના દાગીના કિંમત રૂપિયા 17,900 ફોર વ્હિલ ગાડી કિંમત રૂપિયા 5,00,000 રોકડા રૂપિયા 11,100, વજન કાંટો-01કિંમત રૂપિયા 1,000 એક નંબર પ્લેટ સહિત કુલ રૂપિયા 5,60,00 નો મુદ્દામાલ કબ્જે લઇને પકડાયેલ ઇસમો (1) લખનસીંગ કીરપાલસીંગ સરદાર રહે. વડનગર જિ.મહેસાણા, (2) અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર રહે. જીતાલી તા.અંક્લેશ્વર જિ.ભરૂચ અને (3) શેરાસીંગ મોતીસીંગ સિકલીગર રહે. દંતેશ્વર વડોદરાનાને આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવીઝન પોલીસ મથક ખાતે સોંપીને રાજપારડી તેમજ ઝઘડિયા પોલીસને જાણ કરી હતી.

