ગાંધીનગર: ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતી મુદ્દે વિધાનસભામાં સવાલ કર્યો હતો અને આ મુદ્દે તેમને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે ગૃહમાં TETs અને TET-hsની દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ હતો કે જૂન અને સપ્ટેમ્બર 2023માં આ ભરતીની પરીક્ષા થઈ છે કે કેમ, તો સરકારે જવાબ આપ્યો કે પરીક્ષા થઈ છે. ત્યારબાદ મારો બીજો સવાલ હતો કે આ શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે?

જવાબમાં સરકારે કહ્યું કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તો મારો હવે સવાલ એ છે કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ ? ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ સુધી ભરતી થઈ નથી.

જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારા ધોરણ પ્રમાણે ટેટ ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હતું કામગીરી ચાલુ છે, તેમ બતાવી રહી છે. જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગ છે.