ગાંધીનગર: આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્યકર્મચારીઓ અડગ રહ્યા છે. બીજી તરફ સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. સાથે જ 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. અત્યારસુધીમાં 10 હજારથી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ અપાઈ છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાંથી છૂટા કરવાનો આદેશ અપાયો છે. આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવાજબી ગણાવ્યાં છે. તેમણે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગુરુવારે આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે.

