નવીન: આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંત (Natural Law of Justice)ની છે. વર્તમાન વ્યવસ્થાઓમાં આપણે ભૌતિક વિકાસ ની દિશામાં આંધળી દોટ તો લગાવી દીધી પરંતુ કુદરતી વ્યવસ્થામાં આપણે મનુષ્ય તરીકે માનવતાનાં મૂલ્યોને જ ક્યાંક ભૂલી ગયા હોઈએ એવું તો નથી ને ?

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિરેકમાં ભૌતિકતા અને બૌધિકતા ને જ આપણે વિકાસનો માપદંડ નથી ગણી બેઠા ને? તેમાંયે આ બંને ના સમન્વયથી આપણે વિકસાવેલી કુત્રિમ બૌદ્ધિકતા (Artificial intelligence) ના જમાનામાં હવે માણસો જ કૃત્રિમતા થકી માણસનાં વિકલ્પો પૂરા પાડી રહ્યાં છીએ ત્યારે આપણે માનવતા ક્યાંથી લાવીશું ? એટલે આવનાર સમયમાં આવા પ્રકારનાં અમાનવીય બનાવો તો હવે સામાન્ય થઈ જવાના.

માનવ સમાજ સહિત સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વને સંકટમાં મૂકે તેવી અથવા માનવતાને શર્મસાર કરે તેવી ઘટનાઓ જ્યારે જ્યારે ઘટે છે ત્યારે ત્યારે સૌ આદિવાસીઓનાં વિશેષ સંસ્કૃતિ ધરાવતા જીવનને યાદ કરે છે. કારણ કે આદિવાસીઓનું જીવન એ કુદરતમય છે. આદિવાસીઓએ માનવીય સંવેદના થકી કુદરતનાં તમામ જીવો સાથેનાં સહઅસ્તિત્વને ટકાવી રાખીને માનવ સહિત સમગ્ર જીવ સૃષ્ટિનાં અસ્તિત્વને સંકટમાં નથી મુકાવા દીધું. તેથી જ સમગ્ર માનવ સમાજ આજે જીવંત છે.

આદિવાસીઓમાં સર્જનનું મહત્વ છે. સંવેદનશીલતા, સમાનતા, સામૂહિકતા, સરળતા, સહજતા, સહનશીલતા, સત્ય, અહિંસા, દયા, પ્રેમ, કરુણા જેવાં માનવીય મૂલ્યોનું વિશેષ સ્થાન છે. અને આ તમામને પોતાના હૃદયમાં ભરીને સમગ્ર વિશ્વને આ મૂલ્યો આપનાર તમામ પ્રજાતિની માદાઓ એટલે કે માતૃત્વને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અને એટલા જ માટે આદિવાસીઓ આપણી પૃથ્વી એટલે કે ધરતી મા ને તમામની મોટી મા તરીકે માને છે. એટલા માટે આદિવાસીઓમાં બળાત્કાર, જાતીય હિંસા, સ્ત્રી ભૃણ હત્યા જેવા બનાવોને સમગ્ર માતૃત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે. તેથી આવા બનાવો અત્યાર સુધી જોવા નહોતા મળતા.

ખરેખર હાલના સમયમાં આપણે માનવીઓ (આદિવાસી તથા બિન આદિવાસીઓ) આ દિશામાં વિકસિત છીએ ખરા?

ઉપરાંત, માનવતાને ટકાવવા માટે આદિવાસીઓની સામૂહિક તથા સામુદાયિક ન્યાય વ્યવસ્થા, કે જેમાં ન્યાય આપનારાઓ બધાને સ્વીકૃત હોય (એટલે કે તેમના પર સૌને વિશ્વાસ હોય) તથા તે પ્રક્રિયામાં મહિલા, પુરુષ કે બાળકો કોઈ પણ પ્રકારના ભેદભાવ કે જટિલ પ્રક્રિયા વિના તમામ સહભાગી થઈ શકે તેવી સમાવેશી ન્યાય વ્યવસ્થા(કે જેમાં મર્યાદિત લોકો જ પોતાનો પક્ષ રજૂ કરી શકે કે મર્યાદિત પસંદગીનાં લોકો કે પ્રતિનિધિઓ ન્યાય કરી શકે તેવી પ્રતિનિધિત્વ વાળી નહીં) પણ સમજવી પડશે. ત્યારે જ આપણે માનવીય ન્યાય વ્યવસ્થાને લોકતાંત્રિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી શકીશું.

આપણી રૂઢી પરંપરાઓ થકી માનવતાને ટકાવવા આપણે આદિવાસીઓને સંવિધાનમાં વિશેષ પણ જોગવાઈ કરવામાં આવી છે. જે ટકાવવા આપણે કેટલા સહભાગી થઇ શક્યા છીએ ? કે પછી આપણે પણ વર્તમાનમાં કહેવાતી આધુનિક ન્યાય વ્યવસ્થા કે જેમાં ક્યારેક નબળા અને વંચિતોને અમાનવીય રીતે અન્યાય સહન કરવો પડે તેવી વ્યવસ્થા પાછળ જ ઘેલા તો નથી ને ?

જો આપણે આપણી રૂઢી પરંપરાઓ પાછળની વૈજ્ઞાનિકતા કે માનવીય સંવેદનાઓને સમજીને તેને અપનાવવા પ્રયાસ નહીં કરીએ તો જડતા માનવ સમાજ ને સંવેદનહીન બનાવી દેશે.

BY- સેજલ ગરાસિયા